શું વધારે જરૂરી? ઉત્તમ માર્કશીટ કે ઉત્તમ ભવિષ્ય?

ફેબ્રુઆરી આવતા જ મોટાભાગના ઘરોનું વાતાવરણ બદલાઈ જાય છે. મહત્વના કામો મોકૂફ રાખવામાં આવે છે. મમ્મી-પપ્પાનું ધ્યાન માત્ર બાળકોની પરીક્ષા પર જ કેન્દ્રિત થઈ જાય છે. હેલ્ધી ફૂડ, પૂરતી ઊંઘ અને ઘોંઘાટ વગરનું શાંત વાતાવરણ હવે જરૂરી બની જાય છે, કેમ કે તેમના બાળકનું ભવિષ્ય બોર્ડ પરીક્ષાઓ પર આધારિત છે—એમ તેઓ માને છે. તેમને ખબર છે કે જો કંઈપણ ગડબડ થશે તો તેની સીધી અસર પરિણામ પર પડશે.

કમનસીબે, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં બાળકોની કાબેલિયત માત્ર એક માર્કશીટ પરના ગુણોથી આંકવામાં આવે છે, જ્યાં નક્કી થાય છે કે તે ભવિષ્યમાં શું બનશે. ખેર, આ બધું આપણા હાથમાં નથી હોતું, પરંતુ જે આપણા હાથમાં છે તે એ છે કે આપણે શું કરવાનું છે.

આપણું મગજ કેવી રીતે શીખે છે

આપણા મગજના કોષો, એટલે કે ન્યુરોન, એવી રીતે કાર્ય કરે છે કે તેઓ લાંબા ગાળે એકધારું ભણવા કરતાં નાનાં-નાનાં અંતરાલમાં શીખેલી વસ્તુઓ વધુ સારી રીતે યાદ રાખી શકે છે. તેને Spaced Repetition કહેવામાં આવે છે. સ્ટેનફોર્ડ અને હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસોમાં સાબિત થયું છે કે 10-12 કલાક સતત ભણવા કરતાં 45 મિનિટના સત્ર બાદ બ્રેક લઈ પુનરાવર્તન કરવાથી મગજ વધુ અસરકારક રીતે માહિતી સંભાળી શકે છે.

એવી જ રીતે Active Recall—જેમાં પોતાને પ્રશ્નો પૂછીને તેના જવાબો લખવામાં આવે—અભ્યાસની ઉત્તમ પદ્ધતિ માનવામાં આવે છે.

તણાવ કેટલો જરૂરી?

તણાવ હંમેશા નુકસાનકારક જ હોય એવું નથી. સામાન્ય ચિંતા આપણા મનની એક સ્વાભાવિક પ્રક્રિયા છે, જે આપણને સજાગ રાખે છે અને પ્રદર્શન સુધારવામાં મદદ કરે છે. પરંતુ જો તેની અસર ઊંઘ અને ખોરાક પર પડવા લાગે, તો ચેતવું જરૂરી છે.

તે માટે પ્રાણાયામ, હળવી કસરત કે થોડો વિરામ લેવો લાભદાયક સાબિત થઈ શકે છે. ઘણી વખત વધુ ટેન્શનને કારણે બ્લડ પ્રેશર પર અસર પડે છે, ત્યારે લીંબુ શરબત કે વિટામિનવાળા પીણાં લેવાથી તાજગી અનુભવાઈ શકે છે.

તુલનાત્મક અભિગમ કેટલો નુકસાનકારક?

ભણવાના મહત્વના દિવસો લગભગ પસાર થઈ ગયા છે; હવે જે છે તે આપણે જાણીએ જ છીએ. પરંતુ આ સમયે બીજાઓ સાથે તુલના કરવી ટાળવી જોઈએ. ખાસ કરીને માતા-પિતાએ પોતાના જમાનાની વાતો યાદ કરીને દબાણ ન બનાવવું જોઈએ.

તેના બદલે, “હવે શું કરી શકાય?” તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ લાભદાયક છે. કારણ કે બોર્ડ પરીક્ષા આપણી ક્ષમતાનો આખરી નિર્ણય નથી. માતા-પિતાએ બાળકોને સકારાત્મક રીતે પ્રેરણા આપવી જોઈએ.

માર્કશીટની બહારની દુનિયા

બોર્ડ પરીક્ષા એ અનુશાસન અને શીખવાનો અવસર છે. અહીંથી અનુભવ મેળવી આગળ વધી શકાય છે, શિસ્ત અને સિસ્ટમના પાઠ શીખી શકાય છે. આ કોઈ ભયજનક અંત નથી જ્યાં બધું સમાપ્ત થઈ જાય; આ તો એક વ્યવસ્થા છે જ્યાં પોતાની ક્ષમતાને ઓળખીને આગળ વધુ મહેનત કરી શકાય છે.

જો તમારા બાળકો પણ બોર્ડ પરીક્ષા આપી રહ્યા હોય, તો તેમને નવા દૃષ્ટિકોણથી સમજાવો કે જીવનની સાચી પરીક્ષાઓના કોઈ સમયપત્રક કે નિશ્ચિત સ્થળ નથી હોતાં. તે તો જીવનમાં અચાનક આવી જાય છે. આ પરીક્ષા તો માત્ર એક વ્યવસ્થા છે—અહીં માર્ક્સ કરતાં સકારાત્મક અભિગમ વધુ મહત્વનો છે, જે કોઈપણ મુશ્કેલ પડાવ પાર કરવામાં મદદરૂપ બની શકે છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)