11 મે એટલે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, સાથે જ ભારત માટે ગૌરવ અને વિજ્ઞાનના વિજયનો દિવસ. આ દિવસે ભારત પોતાની
ટેકનોલોજીકલ શક્તિનું પ્રદર્શન કરે છે અને દેશના વૈજ્ઞાનિકોની મહેનતને સલામ કરે છે.
1998માં પોખરણમાં ભારતે અણુ પરીક્ષણ કરીને વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું, ત્યારથી લઈને આજ સુધી ટેકનોલોજીની આ સફર અટકી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં એવી ક્રાંતિકારી ટેકનોલોજી ઉભરી આવી છે જેણે દુનિયાના નકશા પર પ્રગતિની નવી વ્યાખ્યા લખી છે.
આવો જાણીએ, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે એ પાંચ ટેકનોલોજી વિશે જેણે વૈશ્વિક સ્તરે માનવ જીવન અને ભવિષ્યની દિશા બદલી.
કેમ થાય છે આ દિવસની ઉજવણી દિવસ?
ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના રહેલી છે. 11 મે, 1998માં ભારતે રાજસ્થાનના પોખરણમાં સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યું હતું, જેને ‘ઓપરેશન શક્તિ’ નામ આપવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દ્વારા ભારતે દુનિયાને બતાવી દીધું કે એ ટેકનોલોજી અને સંરક્ષણ બાબતે કોઈ પર નિર્ભર નથી. આ ભવ્ય સિદ્ધિની યાદમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 11 મે ને ‘નેશનલ ટેકનોલોજી ડે’ તરીકે જાહેર કર્યો હતો. 1999થી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજીને બિરદાવવાનો અને યુવાનોને વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધવા પ્રેરિત કરવાનો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પાયો તો 1950ના દાયકામાં જોન મેકકાર્થી અને એલન ટ્યુરિંગ જેવા ગણિતશાસ્ત્રીઓએ નાખ્યો હતો, પરંતુ છેલ્લા એક દાયકામાં ‘ડીપ લર્નિંગ’ અને ડેટાની ઉપલબ્ધતાને કારણે એમાં ક્રાંતિ આવી છે. ખાસ કરીને ઓપનએઆઈ દ્વારા નવેમ્બર 2022માં લોન્ચ કરવામાં આવેલા ChatGPT (ચેટજીપીટી) એ આ ટેકનોલોજીને સામાન્ય માણસ સુધી પહોંચાડી દીધી છે. એઆઈ દ્વારા મશીનો હવે માત્ર ગણતરી નથી કરતા, પરંતુ માણસની જેમ શીખીને નવા આઈડિયા પણ આપે છે. એનાથી ઉદ્યોગોમાં ઓટોમેશન આવ્યું છે, મેડિકલ ક્ષેત્રે અનેક જીવલેણ રોગોનું વહેલું નિદાન શક્ય બન્યું છે. સાથે જ ગૂગલ આસિસ્ટન્ટ કે સિરી જેવા ટૂલ્સથી રોજિંદું જીવન સરળ બન્યું છે. ડેટા પ્રોસેસિંગની આ ઝડપે દુનિયામાં નિર્ણય લેવાની પ્રક્રિયાને વધુ સચોટ અને ઝડપી બનાવી દીધી છે.
બ્લોકચેન ટેકનોલોજી (Blockchain)

કહેવાય છે બ્લોકચેન ટેકનોલોજીની શરૂઆત 2008માં ‘સતોશી નાકામોટો’ નામના વ્યક્તિ કે સમૂહ દ્વારા કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બિટકોઈન જેવી ડિજિટલ કરન્સી માટે સુરક્ષિત માધ્યમ પૂરું પાડવાનો હતો. આ ટેકનોલોજી એટલે ડેટાની એક એવી સાંકળ કે જેમાં કોઈ એક જગ્યાએ ફેરફાર કરવો અશક્ય છે. એના કારણે બેંકિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રમાં ત્રીજા પક્ષ એટલે કે વચેટિયા વગર વ્યવહારો સુરક્ષિત બન્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ટેકનોલોજીનો ઉપયોગ માત્ર નાણાકીય લેવડદેવડ પૂરતો નથી રહ્યો, પરંતુ જમીનના દસ્તાવેજોના ડિજિટાઈઝેશન, સપ્લાય ચેઈન અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે પણ થઈ રહ્યો છે. એની અસરથી ડેટા સુરક્ષા અને પારદર્શિતાના ક્ષેત્રમાં એક નવો વિશ્વાસ પેદા થયો છે.
ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT)

IOT શબ્દનો સૌપ્રથમ પ્રયોગ 1999માં કેવિન એશ્ટન દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ હાઈ-સ્પીડ ઈન્ટરનેટના આગમન પછી આ ટેકનોલોજી છેલ્લાં પાંચ-સાત વર્ષમાં વધુ સક્રિય થઈ છે. આ ટેકનોલોજી ભૌતિક વસ્તુઓને સેન્સર્સ અને સોફ્ટવેર દ્વારા ઈન્ટરનેટ સાથે જોડે છે, જેથી વસ્તુઓ એકબીજા સાથે ડેટા શેર કરી શકે. એનાથી ‘સ્માર્ટ હોમ’ની કલ્પના સાકાર થઈ છે, જ્યાં લાઈટ, પંખા કે દરવાજા તમારા સ્માર્ટફોનથી ઓપરેટ થાય છે. ઉદ્યોગોમાં ‘સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ’ દ્વારા મશીનો પોતે જ ખામીની જાણ કરે છે, જેનાથી ઉત્પાદન ક્ષમતા વધી છે. હેલ્થકેરમાં ફિટનેસ બેન્ડ્સ દ્વારા દર્દીના સ્વાસ્થ્યનું સતત મોનિટરિંગ શક્ય બન્યું છે, જે કટોકટીના સમયે જીવ બચાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.
5G કનેક્ટિવિટી

5G ટેકનોલોજીના સંશોધનની શરૂઆત 2010ના દાયકામાં દક્ષિણ કોરિયા અને અમેરિકાની વિવિધ ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી. 2019-20થી એ વ્યાવસાયિક સ્તરે ઉપલબ્ધ બની. એ અગાઉની 4G ટેકનોલોજી કરતા 100 ગણી વધુ સ્પીડ અને અલ્ટ્રા-લો લેટન્સી આપે છે. 5G ના કારણે માત્ર ઈન્ટરનેટની સ્પીડ નથી વધી, પરંતુ એનાથી રિમોટ સર્જરી અને ડ્રાઈવરલેસ કાર જેવી ટેકનોલોજી માટે રસ્તો સાફ થયો છે. આ ટેકનોલોજીએ વર્ચ્યુઅલ રિયાલિટી અને મેટાવર્સ જેવી દુનિયાને વધુ વાસ્તવિક બનાવી દીધી છે. એની સૌથી મોટી અસર ગ્લોબલ કનેક્ટિવિટી પર પડી છે, જ્યાં ડેટા ટ્રાન્સફરનો વિલંબ લગભગ શૂન્ય થઈ ગયો છે.
જેનોમ એડિટિંગ (CRISPR ટેકનોલોજી)

ક્રિસ્પર-કેસ-9 ટેકનોલોજીની શોધ 2012માં જેનિફર ડૌડના અને ઈમેન્યુઅલ ચાર્પેન્ટિયર દ્વારા કરવામાં આવી હતી, જેના માટે એમને 2020માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. આ ટેકનોલોજી વૈજ્ઞાનિકોને સજીવોના ડીએનએ (DNA) માં અત્યંત ચોકસાઈપૂર્વક ફેરફાર કરવાની શક્તિ આપે છે. આ ટેકનોલોજીથી ડોક્ટરો હવે શરીરની અંદર રહેલી બીમારીના મૂળ (જનીનો) સુધી પહોંચી શકે છે. જે બીમારીઓ આપણને વારસામાં મળે છે અથવા જેનો કોઈ ઈલાજ નહોતો, તેને હવે શરીરના ‘સોફ્ટવેર’ (DNA) માં સીધો સુધારો કરીને જડમૂળથી મટાડી શકાય છે, જેના કારણે મેડિકલ સાયન્સમાં મોટી ક્રાંતિ આવી છે. ખેતીવાડીમાં પણ આ ટેકનોલોજીની અસર જોવા મળે છે, જ્યાં જીવાત-મુક્ત અને વધુ પોષણયુક્ત પાક તૈયાર કરવામાં આવે છે. આ ટેકનોલોજીએ ભવિષ્યમાં માનવ સ્વાસ્થ્ય અને ખોરાકની સુરક્ષા માટે અનંત શક્યતાઓ ખોલી આપી છે.
હેતલ રાવ




