વસંત આયા, પલ્લે લાયાઃ દેશભરમાં કઇ રીતે ઉજવાય છે વસંત પંચમી?

દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે, જે ઋતુરાજ વસંતના આગમન અને વિદ્યાની દેવી મા સરસ્વતીના પ્રાગટ્યોત્સવનું પ્રતીક છે. આ વર્ષે ૨૩ જાન્યુઆરીએ વસંત પંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં વસંત પંચમીના દિવસને ‘અબુઝ મુહૂર્ત’ એટલે કે ‘વણજોયું મુહૂર્ત’ માનવામાં આવે છે. એનો અર્થ એ છે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે ચોઘડિયા કે મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી, કારણ કે આખો દિવસ અત્યંત પવિત્ર અને ફળદાયી હોય છે. આ જ કારણ છે કે આ દિવસે લગ્ન-પ્રસંગો, ગૃહ પ્રવેશ, મુંડન સંસ્કાર કે નવા વ્યવસાયના શ્રીગણેશ જેવા માંગલિક કાર્યો ભારતભરમાં ધામધૂમથી કરવામાં આવે છે.

ચાલો જાણીએ, દેશના વિવિધ રાજ્યોમાં વંસત પંચમીની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે? 

ગુજરાત

ગુજરાતમાં વસંત પંચમી એ ફાગણના રંગોનો પ્રારંભ મનાય છે. ‘વણજોયા મુહૂર્ત’ ને કારણે અહીં આ દિવસે હજારો લગ્નો યોજાય છે. મંદિરોમાં ઠાકોરજીને પીળા વસ્ત્રો અને આભૂષણો ધરાવી ‘વસંતોત્સવ’ ઉજવાય છે. કલા અને સાહિત્યના ઉપાસકો આ દિવસે કવિ સંમેલનો અને સંગીત સભાઓ યોજીને જ્ઞાન અને કલાની દેવીને વંદન કરે છે.

પંજાબ

પંજાબમાં વસંત પંચમી એ પાકના આગમન અને બદલાતી ઋતુનો ઉત્સવ છે. અહીં સરસવના ખેતરો પીળા ફૂલોથી લહેરાતા હોય છે, માટે આખું વાતાવરણ પીળું દેખાય છે. પંજાબમાં આ દિવસે પતંગબાજીનું વિશેષ મહત્વ છે. લોકો અગાસી પર જઈને પતંગો ચગાવે છે અને ‘વસંત આયા, પલ્લે લાયા’ ના નારા સાથે ઉત્સવ મનાવે છે. ખાવા-પીવામાં પીળા રંગના ચોખા અને કેસરી હલવો અચૂક બનાવવામાં આવે છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં વસંત પંચમી ખૂબ જ ધાર્મિક આસ્થા સાથે ઉજવાય છે. ખાસ કરીને પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ સ્થાને પવિત્ર સ્નાન કરે છે. મથુરા અને વૃંદાવનમાં પણ આ દિવસથી હોળીની તૈયારીઓ અને ઉત્સવોની શરૂઆત થઈ જાય છે. શાળાઓ અને કોલેજોમાં મા સરસ્વતીના પૂજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

બિહાર

બિહારમાં વસંત પંચમીનો ઉત્સાહ જોરદાર હોય છે. અહીં ગામડે-ગામડે સરસ્વતી માતાના પંડાલો તૈયાર કરવામાં આવે છે. લોકો દેવીને બોર, કેળા અને બુંદીનો પ્રસાદ ચઢાવે છે. બિહારની સંસ્કૃતિમાં આ દિવસે લોકગીતો અને સંગીતની પરંપરા છે. ખેતી પર નિર્ભર લોકો આ દિવસે નવી સીઝનના પાક માટે પ્રાર્થના કરે છે અને પરિવાર સાથે મળીને ભોજન કરે છે.

તેલંગાણા અને આંધ્રપ્રદેશ

દક્ષિણ ભારતના આ રાજ્યોમાં વસંત પંચમીને ‘વિદ્યારંભમ’ તરીકે મનાવવામાં આવે છે. તેલંગાણાના બાસરમાં આવેલું પ્રસિદ્ધ જ્ઞાન સરસ્વતી મંદિર આ દિવસે હજારો ભક્તોથી ભરાઈ જાય છે. માતા-પિતા પોતાના બાળકોને અહીં લાવીને અક્ષર જ્ઞાનની શરૂઆત કરાવે છે. અહીં સરસ્વતી પૂજાની સાથે વિશેષ હવન અને વિદ્યા પ્રાપ્તિ માટેના મંત્રોચ્ચાર કરવામાં આવે છે.

ઓડિશા

ઓડિશામાં વસંત પંચમીને ‘બસંત પંચમી’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભગવાન જગન્નાથના મંદિરમાં આ દિવસથી જ રથયાત્રા માટેના લાકડાના સંગ્રહ અને પૂજનની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. શાળાઓમાં બાળકો દેવી સરસ્વતી સમક્ષ પોતાની કલમ અને પાટી મૂકે છે. ખેડૂતો આ દિવસે ધરતી માતાની પૂજા કરે છે અને હળ ચલાવીને નવા કૃષિ વર્ષનું શુકન કરે છે.

પશ્ચિમ બંગાળ

બંગાળમાં વસંત પંચમીને ‘શ્રી પંચમી’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આ દિવસ મુખ્યત્વે દેવી સરસ્વતીની આરાધનાનો છે. લોકો સવારથી જ પીળા વસ્ત્રો પહેરીને પંડાલોમાં મા સરસ્વતીની મૂર્તિનું પૂજન કરે છે. આ દિવસની સૌથી મોટી પરંપરા ‘હાતે ખડી’ છે, જેમાં નાના બાળકોને પ્રથમ વખત સ્લેટ કે કાગળ પર અક્ષરો લખતા શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ દિવસે પોતાના પુસ્તકો અને પેન દેવીના ચરણોમાં મૂકીને આશીર્વાદ મેળવે છે.

હેતલ રાવ