કબીરવાણી: જીવનની ચાદર નિર્મળ રાખો

 

સૌ ચાદર સુર, નર, મુનિ ઓઢિન; ઓઢી કે મેલી કીની ચદરિયા।
દાસ કબીર જતન સે ઓઢી, જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયા॥

આપણે જીવનમાં કર્મનાં બંધનો ભોગવીએ છીએ. કબીરજી માનવજીવનને ચાદરની ઉપમા આપે છે. આ ચાદર ઈશ્વરની અનામત છે, ખુદાની બક્ષિસ છે. જીવનમાં આપણે જે ભૂલો કરીએ છીએ અથવા જે દોષોને સ્વીકારીએ છીએ, તેનાથી પ્રભુની આ અમૂલ્ય થાપણને મેલી કરીએ છીએ.

દેવતા સમાન મનુષ્યો હોય કે ઋષિ-મુનિઓ, જો તેઓ પણ જાગૃતિ અને કાળજી વિના જીવન પસાર કરે, તો ભગવાને આપેલી આ અમૂલ્ય ચાદર મેલી થઈ જાય છે.

કબીરજી કહે છે કે આ અમૂલ્ય માનવજીવનમાં સતત જાગૃત અને સાવચેત રહેવું જરૂરી છે. પ્રભુએ જે નિર્મળ ચાદર આપણને આપી છે, તેના પર દુર્ગુણોની છાપ ન પડે, દુરાચારના ડાઘ ન લાગે અને પરદુઃખ પ્રત્યેની નિષ્ઠુરતાનો મેલ ન ચડે—તે માટે જીવનભર સંભાળપૂર્વક વર્તવું આપણી જવાબદારી છે.

હેતુલક્ષી, પરોપકારી, પવિત્ર અને સચેત જીવન જીવીએ, તો પ્રભુની પ્રસાદીરૂપ આ મનુષ્ય અવતાર સાચા અર્થમાં સાર્થક બને છે. વિચાર, વાણી અને વર્તનને નિર્મળ રાખનાર જ પ્રભુને પ્રિય બને છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)