કબીરવાણી: હીરા જેવું જીવન કોડીના ભાવે ન ગુમાવો

રાત ગંવાઈ સોય કે, દિવસ ગંવાયો ખાય,

હીરા જનમ અમોલ થા, કૌડી બદલે જાય.

 

સામાન્યજન અને પ્રબુદ્ધ વ્યક્તિના જીવનમાં શું તફાવત હોય છે ? સદ્કાર્યો માટે ઇચ્છા ઘણી છે પણ સમય જ ક્યાં છે ? તેવી ફરિયાદ સામાન્ય છે. કબીરજી ટકોર કરે છે કે, હે માનવ, રાત તો સૂવામાં ચાલી જાય છે. દિવસ ખાવામાં એટલે કે રોજી કમાવવામાં જાય છે.

બચપન ખોયા ખેલ મેં, જવાની ગવાયી ગેલમેં, ફીર બુઢાપા આયા તો રોતે રોતે પૂછા – અબ ક્યા કરું બચે હુએ દિનમેં ? કબીરજી કહે છે કે, જીવન એ તો હીરા જેવું અણમોલ છે. તેના પર જ્ઞાન-ભક્તિથી પાસા પાડીએ તો સ્વયં અને જગતને પ્રકાશિત કરવાની તેનામાં તાકાત છે.

કોઈ વિરલા જ આ મૂલ્ય સમજીને જીવન સાર્થક કરે છે. બાકી તો સામાન્યજન તેને આળસ અને ક્ષુલ્લક બાબતોમાં વેડફી દે છે. હીરા સામે જેમ કોડીનું કોઈ મૂલ્ય નથી તેમ અજ્ઞાની લોકો હીરા જેવું જીવન કોડીના ભાવે વ્યર્થ રીતે ગુમાવી દે છે.

કબીરજી વણાટનું મહેનતવાળું કામ કરતાં કરતાં ઉપદેશ કરે છે. શ્રમનો મહિમા કરે છે અને સાથે સાથે આધ્યાત્મિક જીવનની ટોચ સર કરે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)