|
હાડ જરૈ જ્યોં લાકડી, કેસ જરે જ્યોં ઘાસ, સબ જગ જરતા દેખિ કરી, ભયે કબીર ઉદાસ. |
દેહનું, તેના રૂપનું કે બળનું અભિમાન કરવું મિથ્યા છે. જે અનિત્ય છે; આધિ, વ્યાધિ, ઉપાધિ જેવા ત્રિતાપથી પીડિત છે; રોગ, જરા અને મૃત્યુથી હા નિ પામે છે તેવા દેહનો ગર્વ ગમે ત્યારે ચકનાચુર થઈ જાય છે.
મૃત શરીરની અંતિમ ક્રિયા – અગ્નિદાહના દૃશ્યનું વર્ણન કરતાં કબીરજી કહે છે કે, હાડકાં લાકડીની માફક અને વાળ ઘાસ જેમ બળી જાય છે. અનેક દુ:ખોથી પીડિત આ જગ પણ હંમેશાં જલતું જ રહે છે જેથી કબીરજી ઉદાસી અનુભવે છે.
જગ પ્રત્યે ઉદાસીન થઈએ તો મનની ઉદાસી ટળે. મનમાં ત્યારે જ ખરો વૈરાગ્ય થયો ગણાય જ્યારે મનની તૃષ્ણા છૂટી જાય. કબીરજી તેથી જ ગાય છે કે, ‘મન લાગો મેરો યાર ફકીરીમેં, જો સુખ પાવું ગરીબીમેં, વો નહીં અમીરીમેં.” જગતમાં કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી.

જીવનને સાર્થક કરવા માટે મૃત્યુનો ડર કાઢીને રાગદ્વેષથી પર રહી અનાસક્ત ભાવે કર્મ કરવાનો બોધ વિષાદનું નિરાકરણ કરે છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)




