સૂકા નાળિયેર-મગજતરીના લાડુ

સૂકા નાળિયેર અને મગજતરીના બીમાંથી બનતાં આ લાડુ માઈગ્રેન, માથાના દુખાવાના ઈલાજ માટે તેમજ ગરમીના દિવસોમાં પણ ઘણાં જ લાભકારી છે. જે મગજને તેમજ આંખોને પણ સતેજ રાખે છે. રોજ સવારે નાસ્તામાં એક લાડુ ખાવાથી 15-20 દિવસમાં માઈગ્રેનની સમસ્યામાં રાહત જણાય છે.

સામગ્રીઃ

  • 2 સૂકા નાળિયેરની છીણ
  • મગજતરીના બીજ ½ કપ
  • કાળા મરી પાવડર ટી.સ્પૂન 1
  • બદામ 15-20
  • એલચી પાવડર 1 ટી.સ્પૂન
  • દેશી ઘી 100 ગ્રામ
  • સાકર 1 કપ

રીતઃ મગજતરીના બીજ તેમજ બદામને મિક્સીમાં દરદરું અથવા બારીક જોઈતું હોય તો એ પ્રમાણે પીસી લેવું.

એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં દેશી ઘી ગરમ કરી કાળા મરી પાવડર નાખો તથા પીસેલા મગજતરી તેમજ બદામનો ભૂકો નાખીને ગેસની ધીમી આંચે 2 મિનિટ માટે સાંતડો. ત્યારબાદ તેમાં નાળિયેરનું છીણ નાખીને તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી સાંતડો. હવે ગેસ બંધ કરીને આ મિશ્રણ એક મોટા તાસમાં કાઢી લો.

એ જ કઢાઈમાં સાકર લઈ તેમાં ¾ કપ પાણી ઉમેરીને ગેસ પર ગરમ કરવા મૂકો. ચાસણીને ઝારા વડે હલાવતાં રહેવું. આ ચાસણી અડધા તારની ચિપચિપી થવી જોઈએ. એટલે કે, મિશ્રણને અંગૂઠા અને આંગળી વડે તપાસો તો તેમાં 1 આખો તાર ના બનતાં અડધો તાર બનવો જોઈએ. કેમ કે, આખા એક તારની ચાસણીથી લાડુ કડક બનશે.

ચાસણી તૈયાર થાય એટલે તેમાં નાળિયેરનું મિશ્રણ નાખીને 2 મિનિટ માટે સાંતડો. મિશ્રણમાંની ચાસણી સૂકાઈ જાય એટલે ગેસ બંધ કરીને તેને એક તાસ અથવા થાળીમાં ઠંડું કરવા મૂકો.

મિશ્રણને બહુ ઠંડું નહીં કરવું. હાથમાં લઈને ગોલા વાળી શકાય તેવું થાય એટલે તેમાંથી નાના લાડુ વાળી લો.

આ લાડુ 1 મહિના સુધી સારાં રહે છે.